હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના લાલપુર ગામે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાત રૂર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત આંતરિક પાણી પુરવઠા યોજનાના રૂ.૩કરોડ ૩લાખ રૂપિયાના કામોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ કામોમાં ૪.૭૦કિમી લંબાઈનું ડીઆઈ પાઇપલાઇન અને પીવીસીનું પાઇપલાઇન નેટવર્ક, ૧૫ લાખ લીટર ક્ષમતાનો આરસીસી સમ્પ, ૮લાખ લિટર ક્ષમતાની આરસીસી ઊંચી ટાંકી, ૧૨*૧૦ મીટર પમ્પ હાઉસ અને પમ્પિંગ મશીનરીના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, લાલપુર ગામમાં હવે ક્ષારમુક્ત નર્મદા નદીનું પાણી લોકોના ઘર સુધી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સુવિધા શહેરની અને આત્મા ગામડાનો વિચાર લાલપુરમાં ખરા અર્થમાં સાર્થક થયો છે. અહીં ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા, પરિવહન સહિતની તમામ સુવિધાઓ છે. અને હવે આંતરિક પાણી વિતરણની વ્યવસ્થા પણ સુચારું રૂપે ઉપલબ્ધ થશે. છેવાડાના ગામડાના માનવીને પણ પાયાની સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર કાર્યરત છે. લાલપુરમાં પીવાના પાણીણી સુવિધાઓમાં વધારો થતાં મંત્રીએ તમામ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં પીએમ આવાસ યોજના અને આયુષ્માન કાર્ડના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમજ સાંસદ ખેલ મહોત્સવમાં રસ્સાખેંચમાં સારું પ્રદર્શન કરનાર નારીશક્તિનું મંત્રીના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અરશીભાઈ કરંગિયા, ચિરાગભાઈ કાલરીયા, સરપંચ જયેશભાઈ તેરૈયા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર રંગુનવાલા સહિતના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.